નવા વર્ષના નિર્ણયો ~ શાહબુદ્દીન રાઠોડ

મારી ઑફિસમાં હું કામ કરતો હતો ત્યાં મથુરના દીકરા દામોદરને લઈને શિક્ષક પટેલસાહેબે પ્રવેશ કર્યો. તેમણે કહ્યું: ‘‘સાહેબ, આ દામોદરને બોલવાનું ભાન નથી. જેમ આવે તેમ બોલે છે. તેને સમજાવજો, નહિતર કોક દી માર ખાશે મારા હાથનો.’’ મેં દામોદરને રોકી પટેલસાહેબને જવા દીધા. તે ગયા પછી દામોદરને પૂછ્યું, ‘‘બોલ, શું તોફાન કર્યું છે?’’ દામોદર કહે, ‘‘ ‘સાહેબે પૂછ્યું કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ આવે છે.’ મેં કહ્યું ‘દરેક મહિનામાં.’ એમાં સાહેબ ગુસ્સે થઈ ગયા. વળી પૂછ્યું ‘હું તમાકુ ખાઉં છું. આ વાક્યનો ભવિષ્યકાળ જણાવો.’ મેં કહ્યું, ‘મને કેન્સર થશે.’ એમાં સાહેબે મને ગુસ્સે થઈને જણાવ્યું, ‘મૂર્ખ તારી ઉંમરે હું એટલો હોશિયાર હતો કે આખા વર્ગમાં પ્રથમ નંબરે આવતો.’ સાહેબે આમ કહ્યું એટલે મારાથી બોલી જવાયું ‘સાહેબ, આપને કોઈ હોશિયાર શિક્ષક ભણાવતા હશેને?’ ’’

પટેલસાહેબ વિદ્યાર્થી હતા ત્યારે હું ભણાવતો હોવાથી હું વિચારમાં પડી ગયો કે દામોદરની વાત નકારી શકાય તેમ નથી. મેં દામોદરને સમજાવ્યો, ‘‘જો, મશ્કરી સમાન વય હોય, દોસ્તી હોય, સામાવાળાને ખોટું ન લાગે એમ હોય તો જ કરવી. નહિતર નહિ, સમજ્યો?’’

મારા મિત્ર નવીનભાઈ મુંબઈથી થાન આવ્યા. કાંઈક વાતો અમે કરતા હતા. એમાં એમણે જણાવ્યું કે હું કાયમ પીઅર્સ સાબુથી સ્નાન કરું છું. તરત વનેચંદે કહ્યું, ‘‘ચામડીના દરદ માટે પીઅર્સ સાબુ સારો.’’

અહમદે મુંબઈના મહેમાનને જણાવ્યું, ‘‘મારે ચાર ઓઇલ મિલ છે.’’ તરત મામદે કહ્યું, ‘‘ઓઇલ મિલ એટલે દેશી ઘાણી’’ અહમદે મામદને ઘઘલાવ્યો, ‘‘તારે ચોખવટ કરી ડાહ્યા થવાની શી જરૂર હતી?’’

અમેરિકાના વિશ્વવિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઇન. ચર્ચમાં એક બિશપસાહેબનું પ્રવચન સાંભળી માર્ક ટ્વેઇન બિશપને મળ્યા અને કહ્યું, ‘‘આપનું પ્રવચન શ્રેષ્ઠ હતું તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ મારી પાસે એક પુસ્તક છે. તેમાં આપના પ્રવચનનો એકએક શબ્દ છે.’’ બિશપ ગુસ્સે થયા. તેમણે કહ્યું, ‘‘બને જ નહિ. છતાં તમે એ પુસ્તક મને મોકલી આપજો.’’ માર્ક ટ્વેઇને ઓક્સફર્ડ ડિક્ષનેરી મોકલી આપી.

ધોરણ દશમાં મેં પ્રવેશ કર્યો. એપ્રિલની પહેલી તારીખ હતી. મને હતું તો ખરું કે વિદ્યાર્થીઓ નાનીમોટી મજાક કરશે. મારે એક અંગ્રેજી ફકરો ભાષાંતર માટે લખાવવાનો હતો. ભાષાંતર પણ ધારીએ એટલું સહેલું નથી. એક વિદ્યાર્થીએ મને પૂછ્યું,

‘‘સાહેબ, આ આઉટનું ગુજરાતી શું કરવું?’’ મેં કહ્યું, ‘‘આઉટ.’’ મને પણ નહોતું આવડતું અને પરાણે મારીમચડીને હું ભાષાંતર કરવા નહોતો ઇચ્છતો. ટાઈનું ‘ગલલંગોટ’ જેવું થાય. અંગ્રેજીના શબ્દો ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયા છે. તેમ ગુજરાતી શબ્દો પણ અંગ્રેજીમાં ક્યાં નથી વપરાતા? વિપશ્યના, આશ્રમ, સત્યાગ્રહી, ગુરુ, માર્ગ, વગેરે. આ બૅટ મને નથી ફાવતું. આ વાક્યનું હિન્દી શું કરું? ‘ફાવવું’ નું હિન્દી મને ન ફાવ્યું તે ન જ ફાવ્યું.

હું ફકરો લખું ત્યાં મીનાક્ષી ઊભી થઈ. મને નોટ આપી એમાં ત્રણ વાક્યો લખ્યાં હતાં, મીનાક્ષીએ કહ્યું, ‘‘સર, આ વાક્યોનાં ભાષાંતરમાં ખબર નથી પડતી. અમને સમજાવશો?’’ મેં નોટમાં વાક્યો વાંચ્યાં. જે આ પ્રમાણે હતાં:

APRILFOOL. GO TO SCHOOL. TELL YOUR TEACHER YOU ARE A FOOL.

મેં ગંભીર ચહેરો રાખી પૂછ્યું, બોર્ડ પર લખું?, બધા ભાઈબહેનોએ કહ્યું, ‘‘હા.’’ મેં લખ્યું :

APRILFOOL. GO TO SCHOOL. ASK YOUR PUPIL ARE YOU A FOOL?

‘‘આ નથી, આ નથી, અમારાં વાક્યો તમે બદલી નાંખ્યા છે’’ ના અવાજો ચારે તરફથી આવવા લાગ્યા. આખો વર્ગ આનંદમાં ઝૂમી ઊઠ્યો. મેં મીનાક્ષીના આપેલાં વાક્યો પણ લખ્યાં.

આપણે મૂર્ખ હોઈએ અને મૂર્ખ કહે ત્યારે જ બહુ દુઃખ લાગે છે. પહેરવા પૂરતાં કપડાં ન હોય અને કોઈનો કોટ માગીને જાનમાં ગયા હોઈએ અને કોઈ પૂછે, ‘‘કોનો કોટ પહેર્યો?’’ ત્યારે એ વેણ બહુ આકરા લાગે છે. દસ જોડી કપડાં ઘેર પડ્યાં હોય અને એક ઝભ્ભો ક્યાંક રસ્તામાં ફાટી જાય તો એ ફાટેલા કપડાનો સંકોચ નહિ થાય. માંદા માણસની કદીય મજાક ન કરવી. ‘‘હશે ભાઈ, કર્યાં ભોગવવાં છે ને?’’ – આવું ન કહેવાય.

1996ની સાલના અંતિમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવા વર્ષમાં શું ન કરવું એ વિષય પર અમે મિત્રો ચર્ચા કરતા હતા. આમ તો દર વર્ષે અમે ઘણું નક્કી કરીએ છીએ. એમાંથી થોડુંઘણું જીવનમાં પરિવર્તન થાય છે. રેલવેનું ટાઈમટેબલ છે તો ખબર પડે છે કે ટ્રેન કેટલી મોડી થઈ. કામની યાદી તૈયાર કરી હોય તો છેવટે એટલી તો ખબર પડે ને કે ક્યાં કામો કરવાના રહી ગયાં. ’97થી અમે, અમારો અભિગમ બદલી નાખવાનું નક્કી કર્યું છે. ક્રોધ ન કરવો એમ નહિ. ક્રોધની વાત જ ન આવવી જોઈએ, કારણ કે ક્રોધ પર કાબૂ મેળવવાની ચર્ચામાં ઘણીવાર બાઝવાનું થાય છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે, ‘‘ઊંચા સાદે કોઈપણ સંજોગોમાં બોલવું નહિ. ધીમા અવાજે ધીરેથી જ બોલવું.’’

નવા વર્ષમાં વજન ઘટાડવું. આમ અમે નક્કી નથી કરતાં પણ દર મહિને માત્ર એક કિલો વજન ઘટાડવું એમ નક્કી કર્યું છે.

મેં રજૂઆત કરી કે ‘‘નવા વર્ષમાં બારસો કિલોમીટર ચાલવું.’’ સૌએ તરત વિરોધ કર્યો. મેં કહ્યું, ‘‘હું મારો પ્રસ્તાવ પાછો ખેંચી લઉં છું. પણ રોજના માત્ર સાડાત્રણ કિલોમીટર ચાલવું એવું તો સૌ સ્વીકારશો ને?’’ થોભણ કહે, ‘‘હા, ઈ બરાબર છે.’’ બધાએ સહમતિ આપી. એટલે પ્રવીણ ડગલીએ કહ્યું, ‘‘આ બારસો સાંઠ થયા એ સમજાણું?’’ મેં વિદ્યાર્થી ભાઈ-બહેનોને સમજાવ્યું કે, ‘‘વિનયથી વર્તવું એવું નક્કી ન કરશો, પણ મા-બાપને, ગુરુને અને પ્રભુને પ્રણામ કરવા, આટલું નક્કી કરો.’’ કસરતના શોખીનો માટે અમે વ્યાયામ વર્ગ પહેલી જાન્યુઆરી સત્તાણુંથી શરૂ કરવાનું નક્કી કર્યું.

શ્રી ઠાકરસાહેબને વ્યાયામવીરોને એકત્રિત કરી નવા અભિયાન માટે શુભેચ્છા પાઠવવા જણાવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું, ‘‘વ્યસનો છોડી દીયો તો કસરત જ છે.’’ મને તેમની વાત સાચી લાગી. હું તો કહું જ છું કે, ‘‘કોઈને નડો નહીં તો સમાજસેવા જ છે, પાપ ન કરો તો પુણ્ય જ છે, જેના લીધા એના પાછા આપી દ્યો તો દાન જ છે.’’

જેનો વ્યવહાર શુદ્ધ તેનો ધર્મ વિશુદ્ધ – આવું ઘણું ઘણું વિચાર્યું છે અને નક્કી કર્યું છે. હવે થાય તે ખરું. છેલ્લે ઉપસંહારમાં મેં ડાયરીમાં નોંધ કરી કે કાંઈ ન થાય તો ભલે પણ નિર્બળ વિચારો જીવનમાં કોઈ પણ સંજોગોમાં ન પ્રવેશે તેના માટે જાગ્રત રહેવું. સ્વામી વિવેકાનંદ કહેતા…

શક્તિ એ જીવન છે.

નિર્બળતા એ મૃત્યુ છે.

શારીરિક શક્તિ પણ બહારથી દેખાતા લોખંડી મજબૂત સ્નાયુઓમાં નથી હોતી, એ સ્નાયુની પાછળ રહેલા સાવ નાજુક જ્ઞાનતંતુમાં હોય છે. એ જ્ઞાનતંતુ પણ પાછા વિચારોથી પ્રભાવિત થાય છે. એક જ દ્રઢ વિચાર, એક જ મજબૂત સંકલ્પશક્તિનો પ્રચંડ પ્રવાહ જ્ઞાનતંતુને પૂરો પાડે છે અને જ્ઞાનતંતુ દ્વારા એ શક્તિ સ્નાયુઓમાં પહોંચે છે. ‘યહ દિન ભી ચલા જાયેગા’ જેવા નાનકડા વાક્યમાં માનવીને જીવતરનું ભાથું મળી જાય છે. તેનો જીવનદીપ ઝંઝાવાતોના પ્રચંડ પ્રહારો સામે પણ જલતો રહે છે. પરિણામ?

વહ સર ફીરી હવાથી સંભલના પડા મુઝે,

મેં આખરી ચિરાગ થા જલના પડા મુઝે…

(પુસ્તક: લાખ રૂપિયાની વાત)
પ્રકાશન સહયોગ: ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
પ્રકાશન-પ્રાપ્તિસ્થાન: આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
અમદાવાદ ~ મુંબઈ
079- 2550 6573 (022) 2201 3441
Email: sales@rrsheth.com
website: www.rrsheth.com

આપનો પ્રતિભાવ આપો..

2 Comments